ઈતિહાસનો સાહિત્યના સાધન તરીકે ઉપયોગ


ઉપોદઘાત

ઈતિ+હ+આસ આ ચાર અક્ષરોનો સમૂહ બરાબર ઈતિહાસ. ઈતિહાસ એટલે અતિતમાં બનેલી સ્મરણીય વિગતોનો સરવાળો. ઈતિહાસ શબ્દ પુસ્તક પર વાંચીને ઘણાય લોકો વાંચવાનું ટાળે છે. કારણકે , તેમાં રાજાઓનો વંશવેલો તેના રાજયનો વિસ્તાર તેના રાજ્યની સમૃદ્ધિ કે લશ્કરી માહિતી હોય છે. રાજા ઉદ્ધાત કે ઉદ્ધત હતો વગેરેની માહિતી હોય છે. રાજા ઉપરાંત કોઈ સુભટની વીરગાથા કે દાનવીરની વાત પણ હોય. કોઈ શાહજાહાંની પ્રણય કથા પણ હોય. જેમ કે, સલીમ અને અનારકલી.

આવી જ વિગતવાળી ઐતિહાસિક કોઈ ઘટના કે પાત્રો કોઈએ સાહિત્યકાર લેખક કે કવિની કલમે કંડારાયેલ ત્યારે એમાં રસ અને ભાવનું પ્રગટીકરણ થાય છે અને તે એક ઐતિહાસિક કૃતિ તરીકે આકાર ધારણ કરે છે. જે લોકો ઈતિહાસ શબ્દ જોઈને વાંચવાનું ટાળતા હોય છે. એવા લોકો સાહિત્યિક રસિક હોય તો આવી કૃતિઓને રસપૂર્વક વાંચે છે.

આવી કેટલીક કૃતિઓ ભિન્ન-ભિન્ન સાહિત્ય સ્વરૂપોમાં લખાયી છે. તેના પર વિહંગે પુષ્ટિ કરીએ.

ગુજરાતની સાહિત્યના તબક્કાઓ

ગુજરાતની સાહિત્ય વિષય, શૈલી અને સ્વરૂપની પુષ્ટિએ મુખ્યત્વે બે તબ્બકાઓમાં વહેચાયેલ છે.
૧] મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જેનો સમય હેમચંદ્રાચાર્યથી દયારામ સુધીનો સામાન્ય રીતે માનવામાં આવે છે.
૨] અર્વાચીન ગુજરાતી સાહિત્ય જેનો સમય નર્મદ, દલપતથી આજ સુધીનો ગણાવી શકાય.

- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઈતિહાસનો સાધન તરીકે ઉપયોગ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે પધપ્રધાન હતું. તેથી અપવાદને બાદ કરતા મોટા ભાગનું સાહિત્ય પદ્યમાં મળે છે. મધ્યકાલીન સાહિત્યમાં ઐતિહાસિક ઘટના પર આધારિત એકાદ બે કૃતિ પર પૃષ્ટિ પાત કરીએ.

૧] કાન્હડદે પ્રબન્ધ

આ પ્રબન્ધની ઐતિહાસિક ઘટના નીચે મુજબ છે.
પાટણનો અંતિમ વાઘેલા વંશનો રાજા કર્ણદેવ વ્યભિચારી, પ્રમાદી અને વિલાસી હતો. તેનો અમાત્ય માધવનગરની બહાર ગયો ત્યારે તેની રૂપવંતી સ્ત્રીનું અપહરણ કરાવી રાજાએ પોતાના રાણી વાસમાં રાખી. માધવને આ વાતની જાણ થઇ એટલે તે દિલ્લીના બાદશાહ અલ્લાહુદીન પાસે ગયો અને ગુજરાત જીતાડી આપવાની વાત કરી. અલ્લાહુદીન પોતાના બાહોશ સેનાપતિ ઉલ્લુઘખાન સાથે વિશાળ લશ્કર આક્રમણ કરવા માટે માધવની સાથે મોક્લ્યું. ઝાલોરના રાજા કાન્હડદેએ પોતાના રાજ્યમાંથી લશ્કરને પસાર થવાની ના પાડતા લશ્કરને લાંબા રસ્તે જવું પડ્યું. કર્ણદેવને હરાવી સોમનાથ લૂંટીને પરત દિલ્લી જતા બદલાની ભાવનાથી કાન્હડદે સાથે ઉલ્લુઘખાને યુદ્ધ કર્યું અને પરાસ્ત થતાં રણછોડી શર્મીન્દગીની સ્થિતિમાં તેને દિલ્લી જવું પડ્યું સુલતાને વધારે લશ્કર સાથે કાન્હડદે સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ ચલાવ્યું વિકાતેજપાલ નામનો રાજપૂત ફૂટી જતા ગુપ્તમાર્ગ બતાવ્યો અને ઝાલોર ભાગ્યું.

યુદ્ધ વખતે જે શુરવીરતાથી કાન્હડદે, વિરમદેવ, સાંતલસિંહ અને મોડાસાના સામંત બતડેએ જે યુદ્ધ કર્યું તે આ પ્રબંધમાં ચાર ખંડોમાં કવિ પદ્મનાભે તેમના પ્રબંધમાં રાજા અખયરાજના કહેવાથી રચ્યું છે. તેનો સમય ઈ. સ. ૧૪૫૬( સવંત ૧૫૧૨) છે. આ કૃતિમાં દોહરા, સોઢા, ચોપાઈ, જેવા માત્રામેળ છંદોનો ઉપયોગ તથા ઉપમા, રૂપક, ઉત્પેક્ષા, અતિશયોક્તિ વગેરે જેવા અલંકારોનો સરસ રીતે ઉપયોગ કરેલ છે અને અરબી, ફારસી ભાષાના શબ્દો પણ સારા પ્રમાણમાં જોવા મળે છે પ્રબંધનો મુખ્ય રસ વીર છે અને કરુણ તથા અદભુત રસ સારી પેઠે નિરૂપાયા છે.

૨] રણમલ્લ છંદ

આવી જ એક મધ્યકાલીન ગુજરાતી ઐતિહાસિક સાહ્ત્યિક વીર રસ સભર “રણમલ્લ છંદ” નામની કૃતિ જોવા મળે છે નરસિંહ પૂર્વે થઇ ગયેલ કવિશ્રી શ્રીધર વ્યાસે આ કૃતિ માત્ર સીતેર કડીમાં ઈ.સ. ૧૩૯૩માં લખેલ હોય એવું મનાય છે. રણમલ્લે મોડાસાથી પાટણ જતો ખજાનો ઝફરખાન પાસેથી લૂટી લીધો ઉશ્કેરાયેલા ઝફરખાને વિશાળ લશ્કર એકઠું કરી બદલાની ભાવનાથી ઈડર પર આક્રમણ કર્યું. રણમલ્લે અને તેના રાજપૂત સુભટોએ ગઢ પરથી વિશાળ મુસ્લિમ લશ્કરનો સામનો કર્યો તેથી અને અંતે ઝફરખાન પાટણનો રસ્તો લઈ પીઠ બતાવી નાસી ગયો.

આ કૃતિમાં પ્રથમ દસ શ્લોક સંસ્કૃતના આર્ય છંદમાં છે અને પછી માત્રામેળ, દોહા, ચોપાઈ, હરિગીત જેવા છંદોનો ઉપયોગ કરેલ છે. આ કૃતિની ભાષા ચારણી, ડિંગળની છાંટવાળી, અવદ્ધના પ્રકારની છે એમાં કવિએ સંસ્કૃત ઉપરાંત, અરબી અને ફારસી ભાષાનો ઉપયોગ સારા પ્રમાણમાં કરેલ છે. સ્વ. કેશવ હર્ષદધ્રુવ કહે છે તેમ વીર રસ થી ઉભરાતું પોઢ અને ઓજસ્વી શૈલીવાળું આ કાવ્યતા રાણાને અને કવિને ઉભયને ચિરંજીવ રાખશે.

લોકકથા અને ભવાઈ

સૌરાષ્ટ્ર, કચ્છમાં ઘણી જગ્યાએ પાળિયા અને ખાંભીઓ જોવા મળે છે. આ દરેકની પાછળ કોઈક ને કોઈક શૂરવીરનાં બલિદાનની ઐતિહાસિક કથા હોય છે તે કથા બહુદા, ભાટ, ચારણનાં કંઠે કહેવાતી હોય છે અને તે વાંગમયે હોય છે. ઈતિહાસનાં પાને તેના નિર્દેશ જજ પ્રમાણમાં હોય શકે. આ લોક કથાઓ ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારામાં પાંચ ભાગોમાં આલેખી છે. તેમાં ચારેય વર્ણનાં લોકોની તેમજ સ્ત્રીઓની બહાદુરીની વાત દર્શાવાઈ છે.

લોક્ભવાઈ

અસાઈતને ઉદર પોષણ માટે શરૂ કરેલ ભવાઈ પણ લોકસાહિત્યનો એક ભાગ ગણાય. ભવાયા ઐતિહાસિક કે કોઈ જાણીતા પ્રસંગ કે પાત્રોને લઈ એનો વેશ ભજવે છે તેના લેખિત સ્વરૂપને ભજવતી વખતે બહુ મહત્વ આપવામાં આવતું નહિ. પણ કથા વસ્તુને કેન્દ્રમાં રાખી તેનો વેશ ભજવવામાં આવતો હોય છે. ઇષ્ટ દેવની સ્તુતિથી તેનો આરંભ થાય છે અને પછી ભવાઈનો વેશ શરુ થાય છે. તેમાં વચ્ચે વચ્ચે ગીતો પણ આવે છે. ઐતિહાસિક પાત્રોમાં મુખ્યત્વે રાખેગાર, રાણકદેવી, રા’નવઘણ પૃથ્વીરાજ ચૌહાણ જેવા રાજાઓના તથા વીર માંગડાવાળો, વીર એભલવાળો, વીર ચાપરાજવાળો, તથા યોગીદાસ ખુમાણ જેવાના વેશો ભજવવાના આવે છે. આમ, ઐતિહાસિક ઘટના કે ઈતિહાસનાં પાત્રોને મધ્યકાલીન ગુજરાતમાં સાહિત્યના ભિન્ન ભિન્ન સ્વરૂપોમાં સ્થાન મળેલ છે અને તેની ઐતિહાસિક કૃતિઓમાં સ્થાન મળેલ છે.

અહી નોંધવું જોઈએ કે નરસિંહ જેવા ભક્તોના જીવન ને લગતી ઘણી બધી આખ્યાન કૃતિઓ પ્રેમાનંદ અને તેના પુરોગામી આખ્યાન કારો પાસેથી મળેલ છે.

અર્વાચીન ગુજરાતી

અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી સમયની પૃષ્ટી એ લગભગ ચોથા ભાગથી પણ ઓછો ગાળો ધરાવે છે. આ સાહિત્યમાં ગદ્ય અને પદ્ય બંને ક્ષેત્ર સારું ખેડાણ થયેલ છે. ઈતિહાસને સાહિત્યના સાધન તરીકે ઉપયોગ કરી અનેક સ્વરૂપોમાં સાહિત્ય કૃતિઓ રચાઈ છે.

નવલકથા સ્વરૂપ

ગુજરાતી ભાષાની સૌ પ્રથમ લખાયેલ નવલકથા “કરણ ઘેલો” ઐતિહાસિક ઘટના પર આધારિત છે. તેનો ઉલ્લેખ ઘટનાનો અગાઉ ‘કાન્હડદે પ્રબંધ’માં કરેલ છે નંદશંકર મહેતા કૃત આ કૃતિ “જેવું જેનું કર્મ તેવા એના ફળ”એવા ઉપદેશ પર આધારિત છે. કરણ ઘેલા તેને તેના કુકર્મોનું ફળ મળ્યું તેવું એવું એમાંથી ઉપદેશ નિષ્પન્ન થાય છે.

ગાંધીયુગના નવલકથાકાર મુનશી, ર.વ.દેસાઈ અને ધૂમકેતુએ ઐતિહાસિક નવલકથાઓ સારા પ્રમાણમાં આપી છે. મહોમ્મદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યું. ભીમદેવ ઘાયલ થઈને કચ્છમાં કંથકોટ ગયા સારા થયા બાદ પોતાના યોદ્ધાઓને એક્ઠા કરી સામંતો અને શ્રાવકોએ ગઝનીને પાછો કાઢ્યો. પાટણ પુનઃ મેળવ્યું. આ ઘટના પર આધારિત મુનશી પાસેથી ‘જય સોમનાથ’ અને ધૂમકેતુ પાસેથી ‘ચૌલાદેવી’ કૃતિઓ મળે છે. બન્નેની નાયિકા દેવદાસી નર્તકી ચૌલાદેવી છે. નાયક ભીમદેવ છે ચૌલાદેવીમાં ભીમદેવના બે બાહોશ મંત્રીઓ દામોદર મહેતા અને વિમલ મહેતાની વાત સમાંતરે ચાલે છે. જ્યારે ‘જય સોમનાથ’માં દામોદર મહેતાનો ઉલ્લેખ જૂજ પ્રમાણમાં થયો છે.

મુનશી કરતા ધૂમકેતુએ ઈતિહાસને વધુ વફાદાર રહી ઐતિહાસિક નવલકથાઓ આપી છે. જયારે મુનશી ઐતિહાસિક પાત્રો લે છે ખરા પરંતુ માત્ર તેના હાડ-માસ જ. આત્માને તો પોતાની કલ્પનાથી જ એમાં બેસાડે છે. આથી ઘણીવાર મૂળ પાત્રો ઐતિહાસિક પૃષ્ટિએ પ્રાકૃત બની જાય છે તેથી તેનું મુલ્ય તેજસ્વી હોવા છતાં પણ શૂન્ય થઇ જાય છે. જુઓ “પાટણની પ્રભુતા” નવલકથાની નાયિકા “મીનળદેવી” પ્રકરણમાં હૃદય અને હૃદયનાથ તથા “ન જોવા ત્યજી અમને” મુનશી પોતાના કલ્પિત પાત્રોને પણ એટલા તેજસ્વી બનાવે છે કે મૂળ બાહોશ પાત્ર ઐતિહાસિક પાત્રો પણ તેમની પાસે ઝાંખા પડે છે જુઓ નવલકથા ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ અને તેના પાત્ર કાક અને મંજરી.

મુનશીની “પૃથ્વીવલ્લભ” લઘુનવલ પ્રગથ થઇ ત્યારે ખુબ વંચાઈ, વખણાઈ અને વખોડાઈ આ નવલકથાની ઐતિહાસિક ઘટના વિક્રમ સંવંત ૧૦૨૯ થી ૧૦૫૨ દરમ્યાન મુંજ અને તૈલપ રાજા વચ્ચે સત્તર વખત મુંજ હાર્યો અને ૧૬ વખત જીત્યા પછી તૈલપને ક્ષમાધાન આપ્યું. પણ તૈલપે તેને હાથીના પગે કચડાવ્યો.

આ વિગતને કેન્દ્રમાં રાખી લખાયેલી આ લઘુનવલ માં મુંજ જયારે તૈલપના કેદમાં હતો ત્યારે તૈલપની મોટી બહેન ૧૬ વર્ષની ઉમરે વિધવા થયા પછી સાધવી તપસ્વી જેવું જીવન વિતાવતી હતી અને તૈલપને નાનો હતો ત્યારથી પોરસ ચડાવથી હતી તૈલપએ દક્ષિણમાં અનેક વિજયો મેળવી પોતાની આણ સ્થાપી હતી. પરંતુ મુંજ માત્ર તેને આડ્ખેલી રૂપ બનતો હતો. પરાજય પછી કેદમાં રહેલા મુંજને વંશમાં કરવા ગયેલી મૃણાલવતી મુંજને ન બુદ્ધિથી કે ન શક્તિથી તેને વંશ કરી શકી નહિ અને તે ખુદ તેના પ્રેમમાં ખેચાઈ અને મુંજને કેદ કરવા બદલ પસ્તાઈ.

કાકાસાહેબ કાલેલકરે ગાંધીજીને “કલા ખાતર કલા” ની કૃતિ વાંચવા માટે “પૃથ્વીવલ્લભ” નામ સૂચવેલું ગાંધીજીએ વાંચ્યા પછી મુનશીને તેનો અભિપ્રાય લખ્યો હતો. જીવન ખાતર કલાના ઉપાસકને આ કૃતિ રુચે નહિ એ સ્વાભાવિક છે મુનશીએ તેનો ઉતર પણ લખેલો ૧૯૩૬માં થયેલા આ પત્રવ્યવહારની વિગત મુનશીના દેહ વિલય પછી ૧૧ ની આવૃત્તિ પ્રગટ થઈ એમાં મુનશી ની ઈચ્છાથી આ પત્રની વિગત છપાયેલ છે.

“ભારેલો અગ્નિ” ૧૮૫૭ના નિષ્ફળ વિપ્લવની ઐતિહાસિક જે ઘટના બની તેના પર આધારિત કૃતિ છે આ કૃતિ સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય અને ઐતિહાસિક મુલ્ય ધરાવે છે પશુની ચરબીના બંદૂકની નાળ પર ચડાવેલા કવચને મુખથી ખોલીને બદૂકન નો ઉપયોગ કરવાનો હોઈ ચુસ્ત બ્રાહ્મણ મંગલપાંડે તેનો વિરોધ કરી બળવો પોકારે છે. આ ઘટના પર આધારે નવલકથાના અહિંસાના પુજારી રુદ્રદત્ત મુખ્ય નાયક છે અને તે કલ્પિત પાત્ર છે. રુદ્રદત્તમાં લેખકે ૨૦મી સદીના ગાંધીજીના વિચારો ઉતર્યા છે ને આમ આ નવલકથામાં કાલવ્યુત ક્રમનો દોષ તેમને વોરી લીધો છે.

ઉપરની નવલકથાઓ ઉપરાંત ધૂમકેતુ પાસેથી અજિત,ભીમદેવ, કર્ણાવતી, જયસિંહસિદ્ધરાજ, અવંતી નાથ, રાજર્ષિ કુમારપાળ, માહામાત્યચાણક્ય, ચંદ્રગુપ્તમોર્ય પ્રિયદર્શી અશોક, ભારત સમ્રાટ સમુન્દ્ર ગુપ્ત વગેરે મુનશી પાસેથી ભગવાન કૌટીલ્ય જયંતિ દલાલ પાસેથી લઘુનવલ પાદરના તીરથ દર્શક પાસેથી“સોક્રેટીસ” અને આધુનિક નવલકથાકાર ચંદ્રકાંત વક્ષી પાસેથી “જીંદાની” ઐતિહાસિક કૃતિ મળેલ છે

“નાટક”

ઐતિહાસિક ઘટનાને કેન્દ્રમાં રાખી અર્વાચીન યુગમાં નાટક સ્વરૂપમાં પણ કેટલીક કૃતિઓ મળેલ છે.
(૧) નવલરામ કૃત ‘વીરમતી’ આ એની મૌલિક ઐતિહાસિક કૃતિ છે. તેનું વસ્તુ ફાર્બસ- સંપાદિક રાસમાળામાં જગદેવ પરમાર વિષે આપેલી એક ઈતિહાસ મિશ્રિત દંતકથા પરથી લીધું છે. (૨) મણીભાઈ ત્રિવેદી રચિત “કાન્તા” નામનું નાટક આપેલ છે. જેમાં વનરાજ ચાવડાના પિતા જયસીખી અને ભુવડ વચ્ચે થયેલા યુદ્ધની ઐતિહાસિક ઘટના કેન્દ્રમાં છે. (૩) કાન્તે “ગુરુ ગોવિંદસિંહ અને“રોમન સામ્રાજ્ય” નામની બે ઐતિહાસિક નાટ્ય કૃતિઓ આપેલ છે. (૪) નાન્હાલાલે “જહાંગીર – નુરજહાં“ “શાહનશાહ અકબરશાહ” વગેરે સાહિત્ય કારો પાસેથી સાહિત્ય કૃતિઓ મળેલ છે.

“ચરિત્રકૃત”

“ફાર્બસ વિલાસ” અને“ફાર્બસ વિરહ” દલપતરામના અંગ્રેજ મિત્રના જીવનની અને દલપતરામને થયેલા સાનિધ્યને કારણે તેના અનુભવોની વિગત તથા તેના મૃત્યુ પછી તેને થયેલા દુઃખની વાત “ફાર્બસ વિરહ”માં દર્શાવેલ છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ “દયારામનો અક્ષરદેહ”, નાન્હાલાલે “ગુજરાતનો તપસ્વી” મુનશીએ “નરસૈયોભક્ત હરિનો” જેવા ચરિત્રો ઐતિહાસિક વ્યક્તિઓ પર આધારિત ચરિત્ર કૃતિઓ છે.

લાભાલાભ

લાભ એ કે ઇતિહાસ સાથે અરુચિ ધરાવતા વ્યક્તિઓ સાહિત્યનો પાસ ચડતા કૃતિ રસસભર અને આસ્વાદીય થાય છે. તેથી આવા લોકો વાંચે છે અને ગેરલાભ એ કે જે ઈતિહાસવિદ છે, તે ઐતિહાસિક પાત્રોનું પ્રાકૃત બનાવવાથી ભિન્ન થાય છે જેમ કે મુનશીની નવલકથાનું પાત્ર મીનળ દેવીને જે રીતે મુનશી એ ચિતરેલ છે. તે પુસ્તક પ્રગટ થયું ત્યારે કેટલાય વિરુદ્ધના સૂર ઉઠ્યા હતા. આમ, ઐતિહાસિક પાત્રોને લઈને લખાયેલી કૃતિઓ માનસ પર બેવડી અસર કરે છે.

પ્રા. પ્રવિણ બી. રાઠોડ, મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (સાંજ), અમદાવાદ