Included in the UGC-CARE list (Group B Sr. No 172)

વૈદિક સાહિત્યમાં સામાજિક સમરસતા

વેદ એક વ્યક્તિ, વર્ગ, સમુદાય, વર્ગ, દેશ વગેરે માટે નહીં, પણ સમગ્ર વિશ્વના કલ્યાણ માટેનો માર્ગ મોકળો કરે છે. વેદો ઘોષિત કરે છે કે यत्र विश्वं भवत्येकनीडम् | એટલે કે વેદ એક માળો છે, જેમાં સમગ્ર વિશ્વ એક બનીને રહે છે.
अयं निजः परो वेति गणना लघुचेतसाम् |
उदारचरितनान्तु वसुधैव कुटुम्बकम् ||(महोपनिषद् अध्याय ४ श्लोक ७१)

वसुधैव कुटुम्बकम्નો મૂળ આધાર વેદ છે, જેમાં આખી પૃથ્વીને માતા કહેવામાં આવી છે. બધાને પરમાત્માના સંતાન તરીકે જોવામાં આવ્યા છે. વેદો તમામ પ્રાણીઓને મિત્રની દૃષ્ટિથી જોવાનું અને પરસ્પર પ્રેમપૂર્વક વર્તન કરવાનું વિધાન કરે છે. તેઓ સામૂહિક વિકાસની ભાવનામાં માને છે. નીતિવાક્યોમાં આ પ્રકારનો ઉપદેશ જોવા મળે છે. શ્રુતિવાક્યોમાં આવી સંકુચિત અભિવ્યક્તિઓ માટે કોઈ સ્થાન નથી. જે પણ असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्माममृतं गमय ( बृहदारण्यकोपनिषद् १/३/२८ ) વગેરેનાં વિધાનોનો પાઠ કરશે, તે વ્યક્તિ તે ફળ મેળવવાનો હકદાર રહેશે. આ સ્પષ્ટ કરે છે કે વેદનો સંબંધ સંપૂર્ણ વિશ્વના તમામ જીવો સાથે છે.

વર્ણવ્યવસ્થા :

ब्राह्मणोस्य मुखमासीद्बाहू राजन्यः कृतः |
ऊरूतदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रो अजायत ||(ऋग्वेद १०/९०/१२)

ઉક્ત મંત્રમાં પુરુષ (બ્રહ્મા)ના શરીરસ્થિત અંગોના ગુણ અને કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. ब्रह्म वै वेदः આ શબ્દોથી સ્પષ્ટ છે કે વેદ બ્રહ્મ છે. વેદોમાં શબ્દો છે અને મુખમાંથી શબ્દો ઉચ્ચારવામાં આવે છે. આ રીતે વેદમંત્રોનું ઉચ્ચારણ જે અંગના ગુણ અને કર્મ છે, તેને બ્રાહ્મણ કહેવામાં આવે છે. તેથી ब्राह्मणोस्य मुखमासीत् એવું વેદમંત્રમાં કહેવામાં આવ્યું છે. राजृ दीप्तौ ધાતુમાંથી રાજા શબ્દ બન્યો છે. રાજકાર્ય હાથ વિના શક્ય નથી. કોઈ વસ્તુનું ગ્રહણ, સમ્પ્રદાન કે રક્ષણ વગેરે જે અંગનો ગુણ અને કાર્ય છે, તેને રાજન્ય કહેવામાં આવ્યું છે. આથી बाहू राजन्यः कृतः આ મંત્રવાક્ય પ્રવૃત્ત થયું. उरु विस्तीर्णे ધાતુ પરથી ઉરુ શબ્દની વ્યુત્પત્તિ થઇ છે, જે વિકાસનો બોધક છે. તેથી જગતનો વિકાસ એટલે કે પ્રજાની ઉત્પત્તિ જે અંગમાંથી થઇ છે, તે કર્મ અને ગુણવાળું અંગ ઉરુ કહેવામાં આવે છે અને તે विश् એટલે કે વૈશ્યનો વાચક છે. તેથી विश्નો અર્થ વૈદિક પરિભાષા મુજબ પ્રજા, મનુષ્ય, રાષ્ટ્ર ઈત્યાદિ થાય છે. પગ શબ્દ पद् गतौ ધાતુ પરથી આવ્યો છે. જે અંગની મદદથી હલનચલન શક્ય છે, તેને પગ કહેવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે બીજે ક્યાંક ગયા પછી પાદપ્રક્ષાલન કરવાથી પવિત્ર થવાય છે. જ્યારે ચાલતા સમયે પગ પર ગંદકી થવી સ્વાભાવિક છે, ત્યારબાદ તેને પાણીથી ધોઈને શુદ્ધ કરવામાં આવે છે. તેથી शुच् दीप्तौ ધાતુમાં रक् પ્રત્યય ઉમેરીને શૂદ્ર શબ્દ બન્યો છે, જેનો અર્થ પવિત્રીકરણની શરૂઆત એવો થાય છે. આમ शू = आशु (ત્વરિત) અને द्र = દ્રવિત થવું (જવું અથવા ભીનું થવું) મળીને શૂદ્ર થાય છે. આનો અર્થ એ છે કે પગ પાણીથી આર્દ્ર થવાથી પવિત્ર થાય છે, અન્યથા અપવિત્ર છે. આથી શૂદ્ર શબ્દ અપવિત્રની નિશાની બની. ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે - जन्मना जायते शूद्रः संस्कारात् द्विज उच्यते | તેનો અર્થ એ કે બધા મનુષ્ય અસંસ્કારી હોવાને કારણે શૂદ્ર છે, જ્યારે તેમના પર સંસ્કાર કરવામાં આવે છે, ત્યારે સંસ્કારરૂપી બીજા જન્મથી દ્વિજત્વ મેળવે છે. તેથી આ पद्भ्यां शूद्रो अजायत આ મંત્રવાક્ય આવ્યું.

યજુર્વેદમાં ઉલ્લેખ છે કે સમાજને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ અનુક્રમે ચાર વર્ણમાં વહેંચવામાં આવ્યા છે. આ વિભાજન સર્વથા કર્મ પર આધારિત છે. સમાજનો એક વર્ગ જે શૈક્ષણિક ગતિવિધિમાં રસ રાખીને તદનુસાર કામ કરતો હતો, તે બ્રાહ્મણ વર્ગ કહેવાયો. સમાજનો એક વર્ગ જે સંરક્ષણ, શસ્ત્ર અને યુદ્ધની પ્રવૃત્તિઓમાં રુચિ ધરાવતો હતો. તે ક્ષત્રિય વર્ગ કહેવાયો. વેપાર-વાણિજ્ય અને ધંધામાં રસ લેતો સમાજનો એક વર્ગ વૈશ્ય કહેવાયો અને સમાજમાં એક બીજો વર્ગ હતો જે સ્વરૂચિ દ્વારા દરેક વ્યક્તિને મદદ કરતો, તે શૂદ્ર કહેવાતો. જે વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું કામ ન કર્યું તે દસ્યુ કહેવાતો. સમાજના વિકાસમાં તેમનું વિશેષ યોગદાન નહોતું, તેથી તેઓ સામાજિક વર્ગોમાં ન ગણાતા. કર્મોના આધારે સમાજમાં ઊંચ-નીચના દરજ્જાની કોઈ વાત નથી. તેમ છતાં વિદ્યાધ્યયન અને અધ્યાપનનું મુખ્ય કાર્ય બ્રાહ્મણનું હતું, પરંતુ સમાજનાં તમામ વર્ગને વેદના સત્યસિદ્ધાંતો અને શાસ્ત્રાધ્યયનનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. વેદોમાં સામાજિક અસમાનતા અને ઊંચ-નીચની ભાવનાનો વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ કુલ, વંશ, કર્મ વગેરેના આધારે મોટો અથવા નાનો નથી. અથર્વવેદ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે અમને કોઈ દાસ ન બનાવે અને અમે કોઈને દાસ ન બનાવીએ. આ પ્રકારે અમે બધી દિશાઓમાં સ્વચ્છન્દરૂપથી વિચરણ કરીએ. બધા જ પ્રકારના કામ પર દરેકનો સમાન અધિકાર હોય છે એટલે કે કોઈપણ વ્યક્તિ સ્વેચ્છાનુસાર કાર્યને પસંદ કરી શકે છે, તેથી જાતિ, લિંગ કે વર્ણના આધારે કોઈ પણ ક્રિયાને મનસ્વી રીતે આરોપિત ન કરવી જોઈએ.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે - चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः | (શ્રીમદ્ભગવદ્ગીતા અધ્યાય ૪ શ્લોક ૧૩) અહીં ગુણ અને કર્મવિભાગ અનુસાર ચાર વર્ણોનું સર્જન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણવંશમાં જન્મેલ લંકાધિપતિ રાવણ સર્વશાસ્ત્રનિષ્ણાંત હોવા છતાં રાક્ષસી કર્મમાં પ્રવૃત્ત હોવાથી લોકમાં અપૂજ્ય છે. ક્ષત્રિયવંશમાં જન્મેલા મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ શ્રેષ્ઠ કર્મના કારણે પૂજનીય છે. યદુકુલભૂષણ શ્રીકૃષ્ણ સર્વત્ર પૂજનીય છે. વાનરયોનિમાં જન્મેલા શ્રીરામભક્ત હનુમાન દરેકને માટે પ્રશંસાપાત્ર છે. આ બધા પાછળ કર્મ મુખ્ય છે. શ્રીમદ્ભગવદ્ગીતા અને વેદમાં વર્ણવેલ વર્ણવ્યવસ્થાને વર્ણભેદમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે, જે આજના સમયમાં ખરેખર શોક કરવા યોગ્ય બાબત છે. વેદોમાં દેવતાઓનું નિર્ધારણ પણ કર્મના આધારે કરવામાં આવ્યું છે.

માનવ્યની પરિભાષા :

માનવતા એ ભારતીય સમાજની મૌલિક સંકલ્પના છે. સમાજમાં જીવવું એ મનુષ્યની સ્વાભાવિક પ્રકૃતિ છે. આમ, સમાજ માનવજીવનનું એક અભિન્ન અંગ છે. સંરચનાના દૃષ્ટિકોણથી સમાજ અધિકાર અને ફરજોના આધારસ્થાનો પર આધારિત છે. સામાજિક ઉત્થાન માટે કોઈ પણ સમાજમાં તેમનો સમન્વય જાળવવો ખૂબ જ જરૂરી છે. અધિકાર અને ફરજોના સમન્વયના આધારે કોઈ પણ સમાજની દશા અને દિશા નિર્ધારિત થાય છે. સમાજને સુચારુ રીતે સંચાલિત કરવા માટે વેદોમાં તમામ અધિકારીઓ અને ફરજો નક્કી કરવામાં આવ્યા છે. કર્તવ્યોના નિર્ધારણનો મુખ્ય આધાર યોગ્યતા માનવામાં આવ્યો છે.

અધિકારના સંદર્ભમાં વેદોનો દૃષ્ટિકોણ ખૂબ વ્યાપક છે. વેદોમાં જીવમાત્રને આત્મવત સમજવાની શિક્ષા આપવામાં આવી છે. વેદોમાં પ્રાણીઓ, પક્ષીઓ, ઝાડ, લતા વગેરેની વાત થઈ છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति | (શ્રીમદ્ભગવદ્ગીતા અધ્યાય ૪ શ્લોક ૧૩)વેદની દૃષ્ટિએ તમામ વ્યક્તિઓ સમાન છે, અધિકાર અને ફરજના આધારે તેમની વચ્ચે કોઈ ભેદ રાખવામાં આવ્યો નથી. જીવન જીવવા માટે બધા વ્યક્તિઓ સમાન હકદાર છે. ઋગ્વેદમાં વ્યક્તિને મનુષ્ય બનવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે, એટલે કે દરેક વ્યક્તિએ માનવતાપૂર્વક આચરણ કરવું જોઈએ. મહાભારતમાં માનવતાને સૌથી મહાન ધર્મ તરીકે માનવામાં આવે છે. માનવતાના વ્યક્તિગત દૃષ્ટિકોણને સ્પષ્ટ કરવા માટે નીચે આપેલા મંત્રોનો ઉલ્લેખ કરી શકાય.
यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति |
सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ||
यस्मिन्सर्वाणि भूतान्यात्मैवाभूद्विजानतः |
तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः ||(शुक्लयजुर्वेद अध्याय ४० - ईशावास्योपनिषद् मन्त्र ६, ७)

એટલે કે, જે માણસ બધા જીવોને પોતાની જેમ જુવે છે, તેને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. ખરા અર્થમાં આ માનવતા છે. તેથી, આપણે બીજાની સાથે તેવું વર્તન કરવું જોઈએ, જેવું આપણે અન્ય લોકો પાસેથી અપેક્ષા રાખીએ છીએ. મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે -आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् | તે માનવતાની શ્રેષ્ઠ વ્યાખ્યા છે.

દરેક વ્યક્તિએ એવું કામ કરવું જોઈએ, જેમાં પ્રાણીમાત્રનું કલ્યાણ હોય. વેદ માનવોની રક્ષાનો સંદેશ આપે છે. યજુર્વેદ કહે છે કે માણસે આ દુનિયામાં ત્યાગપૂર્વક ભોગવતા શીખવું જોઈએ, કોઈ પણ પ્રકારના લોભમાં રુચિ ન રાખવી જોઈએ એટલા માટે જ વૈદિક ઋષિ અપરિગ્રહનો સિદ્ધાંત આપે છે.
ईशा वास्यमिदं सर्वं यत्किञ्चित् जगत्यां जगत् |
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ||(शुक्लयजुर्वेद अध्याय ४० - ईशावास्योपनिषद् मन्त्र १)

મન, બુદ્ધિ, હૃદયની એકતા :

વેદમાં સમાનતાના અધિકારને ખૂબ જ સરળ રીતે રજૂ કરવામાં આવ્યો છે. ઋગ્વેદનો આખો સાંમનસસૂક્ત (10/91/4) સમાનતાનું વર્ણન કરે છે. જેમાં ઋષિ કહે છે કે દરેકનું હૃદય સરખું થાય, દરેકના મન એક સરખા હો, એટલે કે કોઈ પણ પ્રકારનો પરસ્પર સંઘર્ષ ન થવો જોઈએ, એવી માંગણી કરે છે.
सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् |
देवा भागं यथा पूर्व्वे संजानाना उपासते ||
समानो मन्त्रः समितिः समानी समानं मनः सह चित्त्मेषाम् |
समानं मन्त्रमभिः मन्त्रये वः समानेन वो हविषा जुहोमि ||
समानी वः आकूतिः समाना हृदयानि वः |
समानमस्तु वो मनो यथा वः सुसहासति ||(ऋग्वेद सूक्त १०/१९१/२-४)

વૈચારિક દૃષ્ટિકોણથી બધા માનવોમાં સમાનતા હોવી જોઈએ એટલે કે પરસ્પર વિરોધાભાસનાં જેટલા પણ કારણો છે, તેને નાબૂદ કરવા જોઈએ અને દરેકને પરસ્પર સૌહાર્દપૂર્વક જીવવાનું વલણ રાખવું જોઈએ. સામાજિક સંબંધોમાં પરસ્પર પ્રેમ અને સહકારની ભાવના વિકસાવવા માટે એવું કહેવામાં આવે છે કે પુત્રએ માતા-પિતાની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ એટલે કે તેણે તેના વડીલોનું સમ્માન કરવું જોઈએ, પત્નીએ હંમેશાં મધુર અને શાંતિપ્રદ વાણી બોલવી જોઈએ. ભાઈ, બહેન, માતા, પિતા, પુત્ર અને પરિવારના બધા સભ્યોએ પરસ્પર મધુર, શાંતિપ્રદ અને કલ્યાણકારી વાણી બોલવી જોઈએ.

રાષ્ટ્રહિતાર્થ સમાન માંગ :

सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः |
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् ||(उपनिषद् शान्तिपाठ)
સામુદાયિક સ્થળોએ દરેકને સમાન અધિકાર છે. કોઈ જગ્યાએ કોઈ વર્ગવિશેષના ઉત્થાનની વાત કરવામાં નથી આવી. જ્યારે બધા મનુષ્ય સમાન હોય છે, ત્યારે બધાના માનવાધિકાર પણ સમાન હોય છે. આ સંદર્ભમાં આગળ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે બધા માણસોએ પરસ્પર પ્રેમથી વર્તવું જોઈએ. દુષ્ટ માનવના નાશ કરતાં દુષ્ટ વૃત્તિના નાશ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આપણે એ પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ, જેથી આપણા કોઈ પણ શત્રુ ન થાય. આપણે નિર્ભયતાપૂર્વક જીવવું જોઈએ.

अभयं मित्रादभयममित्रादभयं ज्ञातादभयं परोक्षात् (पुरो यः) |
अभयं नक्तमभयं दिवा नः सर्वा आशा मम मित्रं भवन्तु ||(अथर्ववेद - १९/१५/६)
વૈદિક પ્રાર્થનામાં પણ ઋષિમુનિઓએ બધા માટે સમાન પ્રકારની સંપત્તિની માંગણી કરેલી જોવા મળે છે. જેમાં સંપૂર્ણ રાષ્ટ્રનો વિકાસ સમાયેલો છે, તે પ્રકારની આપણી વૈદિક પ્રાર્થના છે.

ॐ आ ब्रह्मन्ब्राह्मणो ब्रह्मवर्चसि जायताम्
आऽस्मिन् राष्ट्रे राजन्य ईषव्यः शूरो महारथो जायतां
दोग्ध्री धेनुर्वोढानडवानशुसप्तिः पूरन्ध्रिर्योषाजिष्णु रथेष्टाः
सभेयो युवास्य यजमानस्य वीरो जायताम् |
निकामे निकामे नः पर्जन्यो वर्षतु
फ़लिन्यो न ओषधयः पच्यन्तां
योगक्षेमो नः कल्पताम् || (शुक्लयजुर्वेद अध्याय २२, मन्त्र २२)
બધા વૈદિક દેવીદેવતાઓ અગ્નિ, વાયુ, સૂર્ય, વરુણ, પૃથ્વી આદિ સમાન રીતે બધા પર ઉપકાર કરે છે.

સ્ત્રી-પુરુષમાં અભેદ :

વેદોમાં અધિકારની દૃષ્ટિથી સ્ત્રી અને પુરુષમાં ભેદ નથી. પુરુષોની જેમ સ્ત્રીને પણ સમાન શિક્ષા, યજ્ઞ, વ્યાપાર, નેતૃત્વ આદિનો પૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે. पालयिष्यति मेदिनीम् | ( વાલ્મીકિ રામાયણ સર્ગ ૨, અધ્યાય ૩૮, શ્લોક ૨૩ ) વાલ્મીકિ રામાયણમાં રામના વનગમન સમયે સ્વયં વશિષ્ઠ ઋષિ કહે છે કે રામની અનુપસ્થિતિમાં સીતા રાજ્ય કરશે. આ બાબતનો સંદર્ભ ઉપરોક્ત વૈદિક પ્રાર્થનામાં પણ જોવા મળે છે. 'पूरन्ध्रिर्योषा' અર્થાત્ નગરને ધારણ કરનારી સ્ત્રી. વેદોમાં પુરુષ શબ્દ જ માનવનો વાચક છે. पुरि शेते इति पुरुषः મુજબ પુર અર્થાત્ નગરમાં, આ શરીરમાં જે શયન કરે છે અર્થાત્ આત્મા જ્યાં વાસ કરે છે તે શરીરના સંદર્ભમાં આ વાત કરવામાં આવી છે.

અથર્વવેદમાં સ્ત્રીને વેપારનો અધિકાર આપવામાં આવ્યો છે. સ્ત્રીઓ ઘણી વાર સિલાઈ, ભરતકામ, વણાટ, વસ્ત્રનિર્માણના કામ દ્વારા તેમના વ્યવસાયમાં સહભાગી થતી જોવા મળે છે. ઋગ્વેદમાં સ્ત્રીને પારિવારિક નિર્ણયોના સંદર્ભમાં બ્રહ્મા કહેવામાં આવે છે. વેદમાં સરસ્વતીને વિદ્યાની સર્વોચ્ચ દેવી કહેવામાં આવી છે, જે એક સ્ત્રી છે. ઉપરોક્ત માન્યતા શિક્ષામાં સ્ત્રીનું પ્રતિનિધિત્વ બતાવે છે. બૃહદારણ્યકોપનિષદમાં સ્ત્રીને વિભિન્ન શાસ્ત્રાર્થોમાં ભાગ લેતી હોય તેવું વર્ણન પણ કરવામાં આવ્યું છે. ( સંદર્ભ : યાજ્ઞવલ્કય દિગ્વિજયમાં ગાર્ગી બે વખત ચર્ચા માટે ઉપર આવે છે. ) તેની સાથે સાથે સ્ત્રીઓના અભ્યાસ માટે અલગ આશ્રમની વ્યવસ્થા પણ હતી અને તેમની આચાર્યા તરીકે પણ ગાર્ગીનો ઉલ્લેખ જોવા મળે છે. આ સાથે ઇન્દ્રાણીને સૈન્યના નેતૃત્વનો હવાલો સોંપાયો છે. તે અજેય બનીને રાજ્યનો ઉત્કર્ષ કરે છે. વેદોમાં અનેક સ્ત્રી ઋષિકાઓના નામ પણ જોવા મળે છે, ઉદા. ગાર્ગીવાચક્નવી ( વચક્નુની પુત્રી ), મૈત્રેયી ( યાજ્ઞવલ્કયની પત્ની ) વગેરે. આ દર્શાવે છે કે શિક્ષા સ્ત્રીઓ માટે સમાન હતી.

શિક્ષણ વ્યવસ્થા :

વૈદિક શિક્ષણ વ્યવસ્થામાં પણ આપણને એ બાબત સ્પષ્ટપણે ધ્યાનમાં આવે છે કે તે સમયે બધાને સમાન શિક્ષણ આપવામાં આવતું હતું. રજાનો પુત્ર રાજકુમાર હોય કે પછી રંકનો પુત્ર, બધા સાથે અભ્યાસ કરતાં અને બધાને સમાન સુવિધાઓ આપવામાં આવતી હતી. સમાન ભોજન, સમાન પહેરવેશ, વગેરે બધું સમાન હતું. અવતાર ધારણ કરીને આવેલા શ્રીરામ અને શ્રીકૃષ્ણને પણ ઋષિના આશ્રમમાં અભ્યાસ કરવા માટે જવું પડ્યું હતું. ત્યાં તેમને કોઈ વિશેષ સુવિધા પણ આપવામાં આવી ન હતી.

વિવિધ દેવતાવાદ અને પંચાયતન પૂજા :

વિભિન્ન શ્રદ્ધા અને વિભિન્ન નિષ્ઠાના લોકોને એક કરવા માટે વૈદિક ઋષિઓએ વિવિધ સમૂહના ઉપાસ્યદેવોને આપનાવવાનો રસ્તો અપનાવેલો જોવા મળે છે. કોઈ સમૂહ નાગની તો કોઈ વાઘની, કોઈ ગરુડની તો કોઈ વૃક્ષવનસ્પતિની ઉપાસના કરતાં હતાં. તે સમયે આર્યોએ ગરુડપૂજા, વાઘપૂજા, વૃક્ષવનસ્પતિપૂજા એવી કેટલીએ પૂજોને પોતાનામાં સમાવી લીધી અને તે લોકોને સમજાવ્યું કે તમે જેની ઉપાસના કરો છો, તે અમને પણ માન્ય છે. તમારી ઉપાસના ખરેખર સારી છે, તે અનેક ગુણોથી ભરેલી છે ઇત્યાદિ. આમ કહી આર્યોએ તે લોકોને પોતાના કર્યા હતાં. આ પ્રકારના પ્રયત્નોને પાશ્ચાત્ય લોકો ઈતિહાસ તપસ્યા વગર જ બહુદેવવાદ (Monkey God & Tree God) માં ખપાવી દે છે. જેના હૃદયમાં ખરેખર સામાજિક એકતા લાવવાનો ભાવ રહેલો છે.

ઉપાસનામાં આગ્રહ હોવો સહજ છે. મારા ઉપાસ્ય દેવ જ સર્વશ્રેષ્ઠ છે એવી ભાવના ઉપાસકમાં રહે છે. વિકાસ માટે આ ભાવના ઉપયોગી બને છે. પણ બીજાના ઉપાસ્ય દેવ હલકા, તુચ્છ, કનિષ્ઠ અને નિંદા કરવા યોગ્ય છે એમ જ્યારે ઉપાસક સમજવા લાગે ત્યારે તે પોતાની ઉપાસનાને સંપ્રદાયનું રૂપ આપી દે છે. આજે સમાજમાં આપણે તે સાંપ્રદાયિક કલહો, ઝઘડાઓ અને યુદ્ધો થતાં જોઈએ છીએ. શૈવ અને વૈષ્ણવોનો ઝઘડો જગવિખ્યાત છે. આ પ્રકારની સાંપ્રદાયિક સંકુચિતતા દૂર કરવા માટે જ શ્રીમદાદ્યશંકરાચાર્યે પંચાયતન પૂજા આપી. પંચાયતન પૂજામાં પાંચ દેવ છે : ગણપતિ, શિવ, વિષ્ણુ, સૂર્ય અને અંબા. જે દેવનો ઉપાસક હોય તે દેવને મધ્યમાં રાખે અને અન્ય ચાર દેવોને તેની ચારે બાજુ રાખે. આમ ગણેશપંચાયતન, શિવપંચાયતન, વિષ્ણુપંચાયતન, વગેરેની શરૂઆત થઈ. આપણે બધા એક છીએ, જુદા નથી. આપણી આવી પરંપરાઓ, પેઢીઓ અને પેઢીઓ સુધી લાંબા કાળથી ઊભી છે. આજે આપણે એમાં માનીએ કે ન માનીએ, પણ આપણી એકતાને ટકાવી રાખવા અને આપણી ઉત્ક્રાંતિ કરવા માટે પ્રાચીન કાળના ભારતીયોએ આવા અનેક અથાક પ્રયત્નો કર્યા છે.

સંદર્ભગ્રંથસૂચિ :

  1. શ્રીમદ્‌ભગવદ્‌ગીતા : મૂલ, મઝલા, સજિલ્દ, ગીતાપ્રેસ, ગોરખપુર, પ્રથમ સંસ્કરણ, વિ. સં. ર૦પ૦
  2. ઈશાદિ નૌ ઉપનિષદ : વ્યાખ્યાકાર : હરિકૃષ્ણદાસ ગોયન્દકા, ગીતાપ્રેસ, ગોરખપુર. ૪૦મુ સંસ્કરણ
  3. અભિનવ વૈદિકસૂક્ત - પાઠાવલી : સંપાદક : વસંતકુમાર મનુભાઈ ભટ્ટ, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, જૂન ૧૯૯૮
  4. શ્રી વાલ્મીકિ રામાયણ દર્શન : ( તીર્થરૂપ પરમ પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલેનાં પ્રવચનો ) સદ્વિચાર દર્શન ટ્રસ્ટ, મુંબઈ. બાવીસમી આવૃત્તિ, એપ્રિલ ૧૯૯૮
  5. વિજિગીષુ જીવનવાદ : ( તીર્થરૂપ પરમ પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલેનાં પ્રવચનો ) સદ્વિચાર દર્શન ટ્રસ્ટ, મુંબઈ. સાતમી આવૃત્તિ, જાન્યુઆરી ૧૯૯૨
  6. શુક્લયજુર્વેદ : મંત્ર્યાનુક્રમણ્યા સહીત, શ્રી સુરેન્દ્ર પ્રતાપ, પ્રકાશક : નાગ પ્રકાશન, દિલ્લી, મુદ્રક : જી. પ્રિન્ટ પ્રોસેસ, દિલ્લી, પ્રથમ સંસ્કરણ, ઈ. સ. ૧૯૯૪
  7. અથર્વવેદ : મંત્ર્યાનુક્રમણ્યા સહીત, શ્રી સુરેન્દ્ર પ્રતાપ, પ્રકાશક : નાગ પ્રકાશન, દિલ્લી, મુદ્રક : જી. પ્રિન્ટ પ્રોસેસ, દિલ્લી, પ્રથમ સંસ્કરણ, ઈ. સ. ૧૯૯૪

હેમલ અશોકભાઈ કણસાગરા, અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, સરકારી વિનયન કોલેજ, જામકલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા, મો. : ૯૪૨૭૭૨૪૩૮૦, Email : hakansagra11@gmail.com